દલિત કવિશ્રી સામંત સોલંકી.

દલિત કવિશ્રી સામંત સોલંકી. જન્મતારીખ 1 જુલાઇ ઇ.સ.1960. જન્મસ્થળ=ખંઢેરી (તા.વેરાવળ જિ.જુનાગઢ) હાલનું સરનામું=’સિધ્ધાર્થ’ એકતાનગર, ભાલકા-વેરાવળ. અભ્યાસ-પી.ટી.સી./બી.એ. વ્યવસાય=આચાર્ય ભીડીયા પે.સેંટર શાળા-વેરાવળ. સંપર્કસૂત્ર=98796-61150. પ્રકાશિત પુસ્તકો= (1) ‘યુગપુરુષ ડો.બાબાસાહેબ આંબેડકર’ ભાગ-1 (26 જાન્યુઆરી ઇ.સ.1989) (2) ‘યુગપુરુષ ડો.બાબાસાહેબ આંબેડકર’ ભાગ-2 (20-3-1989) (3) ‘પ્રતિબધ્ધતાનાં પંથે પ્રયાસ’ ઇ.સ.2000 (4) ‘બંસરીનાં બોલ’ ઇ.સ.2004. (5) ‘યાદ કરો મસીહાને’ ઇ.સ.2004. (6) ‘સંકલ્પ’ ઇ.સ.2004. (7) ‘ડો.બાબાસાહેબ આંબેડકર દર્શન’ (26 જાન્યુઆરી ઇ.સ.2005) (8) ‘બાલદેવો ભવ:’ ઇ.સ.2005. (9) ‘વીરમાયા વંદના’ ઇ.સ.2006. (10) ‘સમજણનાં ફૂલ’ ઇ.સ.2007. (11) ‘આદર્શ બૌધ્ધવિધિ’ ઇ.સ.2008. (12) ‘મંગલ હો બુધ્ધ શરણમ’ ઇ.સ.2011. આગામી પ્રકાશનો= (1) ‘ચાલો પુસ્તકને પ્રેમ કરીએ’ (2) ‘બાલગીત સંગ્રહ’ (3) ‘દલિત સમાજની શ્રેષ્ઠ નારીઓ’ (4) ‘ચાલો બાળકને સમજીએ’ પારિતોષિકો= (1) ડો.બાબાસાહેબ આંબેડકર ફેલોશીપ એવોર્ડ-1997 નવી દિલ્હી. (2) દલિત સાહિત્ય શ્રેષ્ઠકૃતિ દાસી જીવણ એવોર્ડ ઇ.સ.2007. સન્માન=35 જેટલી સંસ્થાઓએ જાહેરમાં શાલ/માનપત્ર આપી સન્માનિત કર્યા છે.. શ્રી સામંત સોલંકી છેલ્લા પંદરેક વર્ષથી કાવ્ય-સાધના કરી રહ્યાં છે. એમની કાવ્યરચનાઓ અનેક સામયિકોમાં પ્રગટ થતી રહી છે. એમનાં અત્યાર સુધીમાં કુલ-12 પુસ્તકો પ્રગટ થયાં છે. અને પાંચેક પુસ્તકો પ્રગટ થવાની તૈયારીમાં છે. સામંતભાઇ દલિતોની પીડાને કાવ્યરુપ આપીને દલિત સમસ્યાઓને લોકો સમક્ષ મૂકી આપે છે. કાવ્યમાં જે સંવેદન પ્રગટે છે તે એમની નિજી પીડામાંથી અવતરેલું હોવાથી સ્વાભાવિક અને ચોટદાર લાગે છે. એમની કાવ્યરચનાઓ સામયિકોમાં પ્રગટ થતી હતી ત્યારથી જ એ દલિત સાહિત્યનાં અભ્યાસીઓનું ધ્યાન ખેંચતા રહ્યાં છે. ઇ.સ.2004માં પ્રગટ થયેલો ‘સંકલ્પ’ કાવ્યસંગ્રહ આ વાતની ગવાહી પૂરે છે. ‘સંકલ્પ’ કાવ્યસંગ્રહને ગુજરાત સરકારનો 2007માં સંત શ્રી દાસીજીવણ એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે. નવી દિલ્હીનો ડો.બાબાસાહેબ આંબેડકર ફેલોશીપ એવોર્ડ ઇ.સ.1997માં મલ્યો ત્યારે એમની કાવ્યરચનાઓમાં બાબાસાહેબ પ્રત્યેનો આદરભાવ ચોખ્ખો વરતાઇ આવતો હતો. તેઓ બાબાસાહેબને દિલ સટોસટ ચાહે છે. એટલે તો ઇ.સ.1989માં એમણે ‘યુગપુરુષ ડો.બાબાસાહેબ આંબેડકર’ ભાગ 1 અને 2 પ્રગટ કરીને સૌ કોઇનું ધ્યાન ખેચ્યું છે. તેમનાં કાવ્યમાં વ્યથા-વેદના, પીડા, આક્રોશ, વિદ્રોહ ગોપિત રાખીને પણ ભાવકને સ્પર્શી જાય તે પ્રકારની શૈલી અપનાવે છે. એટલે તો આપણને એમનાં કાવ્યમાંથી એક જાતનો બોધ નિષ્પન્ન થાય છે. એમનાં કાવ્યોની ભાત અને એમાં પ્રગટતાં સૂર અને સંદેશને અનુલક્ષીને કહેવું હોય તો કહી શકાય કે શ્રી સામંતભાઇ સમાજને કાંઇક આપવા ધારે છે. એ અર્થમાં એમને ‘સમાજ સુધારણા’ નાં કવિ તરીકે ઓળખવામાં જરાય અતિશયોક્તિ નથી જ નથી. વેરાવળ જેવા છેવાડાનાં શહેરમાં વસતો આ સર્જક દલિત સાહિત્યનાં સાંપ્રત પ્રવાહોથી પૂરેપૂરો જ્ઞાત છે. કાવ્યરચનાઓમાં તે સમાજથી જરાય વિમુખ થયા નથી તેવી જ રીતે તેઓ એમનાં બાહ્ય આવરણમાં પણ સમાજાભિમુખ છે. એમની સામાજિક પ્રવૃત્તિઓની નોંધ ન લઇએ તો આ કવિને અન્યાય કર્યા બરાબર ગણી શકાય. ડો.બાબાસાહેબ આંબેડકર અને ભગવાન બુધ્ધની વિચારધારાનાં એ પ્રખર હિમાયતી છે એટલે તો આ બંન્ને યુગપુરુષનાં વિચારોને લોકો સમક્ષ લઇ જવા માટે ભેખ ધારણ કરીને બેઠા છે, વિદ્યાર્થીઓને એકારકિર્દી ઘડાય તે માટે એ સતત પ્રવૃત્તિશીલ છે. સામાજિક સંસ્થાઓ સાથે તો એ જોડાયેલાં છે જ. પરંતુ, સાથે સાથે સમૂહલગ્ન જેવાં સામાજિક વ્યાવાહારિક પ્રસંગોમાં પણ તેમની કામગીરી પ્રોત્સાહક રહી છે. સામંતભાઇ સોલંકી જન્મે દલિત છે, પણ તેઓ બૌધ્ધ ધર્મની દીક્ષા લઇને બૌધ્ધધર્મી બન્યાં છે. ત્રિલોક્ય બૌધ્ધ મહાસંઘનાં વિશ્વ લેવલનાં પ્રમુખ છે. એટલે તો દર પૂનમે એમનાં નિવાસ સ્થાને બુધ્ધવંદના, ધ્યાન, વાર્તાલાપ અને ખીરની પ્રસાદીનો કાર્યક્રમ યોજાય છે. સામંતભાઇ આમ બહુમુખી પ્રતિભા ધરાવતાં દલિત કવિ છે. તેઓની કાવ્યસાધના આ દિશામાં હજીયે અગ્રેસર છે.-લે.મનોજ પરમાર. ‘સંદર્ભ ‘દલિતચેતના’ તંત્રીલેખ-મનોજ પરમાર પૃ.1-2. (વર્ષ:6 અંક:4 સળંગ અંક:64, જાન્યુઆરી:2012.-માંથી સાભાર) =============================

Comments

Popular posts from this blog

‘નરસિંહ મહેતાનાં પદો’નું સમગ્રલક્ષી મૂલ્યાંકન